500થી વધુ નાગરિકોએ કલેકટરને આવેદનપત્ર આપી દબાણ હટાવવા કરી માંગ
ડાભેલ સ્થિત બ્રહ્મદેવ બાપાના મંદિર પરિસરમાં એક વ્યક્તિ દ્વારા ગેરકાયદે કરેલા બાંધકામને હટાવવા કલેક્ટરને રાવ દમણ જિલ્લા કલેક્ટરને ૫૦૦થી વધુ નાગરિકોની સહી સાથેનું આપવામાં આવેલું આવેદનપત્રનાની દમણના ડાભેલ સ્થિત બ્રહ્મદેવ બાપાના મંદિરના પરિસરમાં મનોજ દુર્ગા યાદવ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદે બાંધકામ કરી દબાણ કરવામાં આવેલ છે તે બાબતે આજે ડાભેલ સહિત આટિયાવાડ, સોમનાથ, ઘેલવાડ વગેરે ગામના ૪૦૦ થી ૫૦૦ જેટલા નાગરિકોની સહી સાથે દમણ જિલ્લા કલેક્ટર અને એસોસિએટ ટાઉન પ્લાનરને આવેદન આપી વિરોધ પ્રદર્શન કરી ગેરકાયદે તાણી બાંધેલા દબાણને તાત્કાલિક અસરથી હટાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.
વર્ષો જૂના આસ્થાના પ્રતિક એવા બ્રહ્મદેવ મંદિર પરિસરમાં ગેરકાયદેસર રીતે તાણી બાંધેલા મકાનને હટાવવા બાબતે ડાભેલના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આપેલા ગામલોકોના જણાવ્યા મુજબ અહીં એક બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામના કામોને વિસ્તારવા અને મંદિરના પરિસરને કબજે કરવાના કૃત્યથી ધાર્મિક ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ સાથે દબાણ કરવામાં આવી રહ્યું છે, ગામમાં પૂર્વજોના સમયથી બ્રહ્મદેવની પૂજા કરવામાં આવે છે, જેને ગામના ક્ષેત્રપાલ/રક્ષક તરીકે માનવામાં આવે છે. ગામના પ્રવેશદ્વાર પર આવેલા આ મંદિરમાં પોર્ટુગીઝ શાસન પહેલાથી દરરોજ પૂજાઅર્ચના કરવામાં આવતી હતી, જે આજે પણ અવિરત ચાલુ છે. જેની આસપાસની મિલ્કત બે વ્યક્તિઓ દ્વારા ખરીદવામાં આવી હતી, તે પહેલાં ગામના વરિષ્ઠ આગેવાનો અને જમીનના અગાઉના માલિકની હાજરીમાં ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી હતી અને ગામના લોકોને ખાતરી પણ આપવામાં આવી હતી કે કે આ મંદિરમાં પહેલાંની જેમ જ ભાવિક ભક્તોને ભગવાનની પૂજાવિધિ કરવા દેવામાં આવશે અને તેમાં ભવિષ્યમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ ઘણા દિવસોથી બિલ્ડર દ્વારા વર્ષો જૂના આસ્થાનું પ્રતિક એવા મંદિર પરિસરમાં બાંધકામ શરૂ કરી ગામની શાંતિને ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. આ ઉપરાંત સર્વે નં.૬૩/૧, ૬૩/૪, ૬૩/૫, ૬૧/૩, અલગ અલગ નામે નોંધાયેલી જમીનના હાલના સહ-કબજેદારોએ ઉપરોક્ત સર્વે નંબર પર ગેરકાયદે બાંધકામ કર્યું છે. તેથી બ્રહ્મદેવ બાપા મંદિર પરિસરમાં કરાયેલા અતિક્રમણને દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર દ્વારા માંગણી કરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ