વાપી સરસ્વતી માતા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમગ્ર છીરી ગ્રામજનોના તત્વાવધાનમાં શ્રી 1008 લક્ષ્મી નારાયણ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ યજ્ઞ 30 જાન્યુઆરી 2025 થી 7 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે, જેમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે.
યજ્ઞની શરુઆત 30 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે ભવ્ય કલશ શોભાયાત્રા દ્વારા થઈ, જેમાં 700થી વધુ મહિલાઓ માથા પર કલશ લઈને ચાલી અને 2000થી વધુ શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાયા. યાત્રા ધનલક્ષ્મી સોસાયટીથી શરૂ થઈને રણછોડનગર સુધી પહોંચી, જ્યાં ભજનો અને ભક્તિ ગીતોની ગૂંજ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું.
31 જાન્યુઆરી થી 6 ફેબ્રુઆરી સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.2 ફેબ્રુઆરીના રોજ શ્રી સરસ્વતી માતા પૂજન સમારોહ યોજાશે, જેમાં ભક્તો માતાજીની આરાધના કરી ધાર્મિક લાભ લેશે.7 ફેબ્રુઆરી સુધી સતત રામધૂન સંકીર્તન ચાલી રહેશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે.8 ફેબ્રુઆરી ના રોજ યજ્ઞનો વિદિવત સમાપન થશે, બાદમાં ભવ્ય મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે, જે સવારે 11:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી વિતરણ થશે.
આ પછી વિગ્રહ વિસર્જન યાત્રા રણછોડનગર, છીરી થી પોલીસ ચોકી માર્ગે રાતા ખાડી સુધી યોજાશે.આ ભવ્ય ધાર્મિક યજ્ઞમાં છીરી, છરવાડા, રાતા, રામનગર, જલારામ નગર, દેશાઈ વાડ, શાંતિ નગર, કંચન નગર, વલ્લભ નગર, ગુલાબ નગર, હરીયા પાર્ક, ખોડિયાર નગર, ગુંજણ, વાપી, વલસાડ અને આસપાસના અન્ય વિસ્તારોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.આયોજકો દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ પવિત્ર ધાર્મિક યજ્ઞમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ ધાર્મિક લાભ મેળવવા માટે અપીલ કરવામાં આવી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ