
વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક તરીકે વાપીવાસીઓના હૃદયમાં અમીટ છાપ છોડી જનાર આયુષ ફાઉન્ડેશનના કેપ્ટન અનિલ જી. દેવ અને સ્વ. મોહિની દેવની ભાવભીની યાદમાં રવિવારના તારીખ 23 માર્ચ 2025 ના રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર અને વાપીનું નામ રોશન કરનાર વિરલાઓનું સન્માન કરવામાં આવશે. જે અંગે શનિવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપવામાં આવી હતી.

વાપીમાં આયુષ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયુષ હોસ્પિટલ ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગજગત તેમજ હોસ્પિટલક્ષેત્રે સંકળાયેલ આગેવાનો, સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો સ્વ. કેપ્ટન અનિલ જી. દેવને અને તેમના પત્ની સ્વ. મોહિની દેવને તેમની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી શ્રધ્ધાસુમન અર્પણ કરશે.
આ ઉમદા સામાજિક કાર્યમાં સૌનો ઉત્સાહ વધારવા તથા પ્રોત્સાહિત કરવા હોસ્પિટલ સાથે સંકળાયેલા દર્દીઓ પણ ઉપસ્થિતિ રહેશે. રક્તદાન શિબિરમાં અંદાજીત 150 બોટલ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર છે. તેમજ સ્પોર્ટ અને અન્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી વાપીનું નામ રોશન કરનાર 8 જેટલા રમતવીરો, સમજસેવકો ને આયુષ ફાઉન્ડેશનના નેજા હેઠળ સન્માન કરવામાં આવશે. સમગ્ર આયોજન આયુષ હોસ્પિટલના ડૉ. આશિષ દેવ, ડૉ. સમીધા દેવ ડૉ. અમિત દેવ, ડૉ. વંદના દેવ દ્વારા કરવામાં આવ્યું છે.
વાપી થી આલમ શેખ..