અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં પોલીસબેડામાં અરેરાટી
વાપી જીઆઈડીસીના ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસ લાઇન ક્વાર્ટર્સમાં રહેતા અને વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરિયા એ આજે સોમવારે તેમના જ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જિલ્લાના પોલીસ બેડામાં અરેરાટી ફેલાઈ છે. ઘટના અંગે ની જાણકારી વલસાડ જિલ્લા પોલીસ વડાને મળતા વાપી GIDC પોલીસ મથકના PI, વાપી ડીવિઝનના DySP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી જઇ મૃતક મનીષ મહેરીયાના મૃતદેહને PM માટે રવાના કરવા સાથે મૃતકે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે.
વાપી GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્ર નગરના વતની 30 વર્ષીય મનીષ સોમાભાઈ મહેરીયા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટબલ તરીકે ફરજ બજાવતા હતાં. તેઓ પોતાની પત્ની સાથે વાપી GIDCના ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસ લાઇનના ક્વાટર્સમાં રૂમ નંબર 15માં રહેતા હતાં. જ્યાં હાલમાં વેકેશન હોય તેમના પત્ની વતનમાં ગયા હતા. સોમવારે તેઓ ઘરમાં એકલા હતા. ત્યારે રસોડામાં છત પર લાગેલા પંખાના હુકમાં નાયલોનની દોરી બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણકારી વાપી GIDC પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતકના પિતાને ઘટનાની જાણકારી આપી હતી. જે બાદ તેમના પરિવારજનો પણ હાલ સુરેન્દ્રનગરથી વાપી આવવા નીકળ્યા છે. જ્યારે મૃતક મનીષ મહેરીયાના મૃતદેહને PM માટે રવાના કરવા સાથે મૃતકે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ