ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ, જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારડની ફરી સંડોવણી સામે આવી. પુરવઠાતંત્ર દ્વારા 19 હજાર કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કરી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી.
છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના અનાજને બારોબાર વેચી મારવા માટેનું સુનિયોજિત રેકેટ ચાલી રહ્યું છે. જેમાં ક્યાંકને ક્યાંક તંત્રના જ કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓની પણ મીઠી નજર હોવાનું ચર્ચા રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવી પ્રવૃત્તિને ડામવા માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે વેરાવળ નજીક ગઈકાલે ફરી એકવાર શંકાસ્પદ સરકારી અનાજ ભરેલ ટ્રક ને ઝડપી પાડ્યો છે.આ અંગે જિલ્લાના અધિક નીવાસી કલેકટર રાજેશ આલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર ને મળેલી ચોક્કસ બાતમી આધારે પુરવઠા વિભાગની ટિમ દ્વારા વેરાવળ જૂનાગઢ હાઇવે પર નંબરના ટ્રકને રોકી તલાશી લેતાં ટ્રકમાંથી 380 કટ્ટામાં 19240 kg શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. આ ચોખાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે સાથે જ અનાજ સાથે ટ્રકને સીઝ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ કિસ્સામાં પણ સુત્રાપાડાના કાદુ ઉર્ફે ધીરુ બારડની શંકાસ્પદ ભૂમિકા તંત્રના ધ્યાને આવી હોવાનું પણ જણાવ્યું હતું, હાલ ટ્રક ચાલક દ્વારા આકાશ ટ્રેડિગ કંપનીની બિલ ટી રજૂ કરવામાં આવતા આ પેઢીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ બાબતે રાજેશ આલ ( નિવાસી અધિક કલેકટર – ગીર સોમનાથ)દ્વારા જણાવવામાં આવ્યુું હતું કે દોઢેક માસ પૂર્વે સુત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં રાત્રિના સમયે ખુદ જિલ્લા કલેકટરે દરોડો પાડી મસ મોટો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.આ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં સુત્રાપાડાના જ અમરાપુર ગામના કાદુ બારડ નામના શખ્સની સંડોવણી સામે આવતા તેના વિરુદ્ધ કાર્યવાહી સાથે પોલીસમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે જેની તપાસ હજુ ચાલી રહી છે તે દરમિયાન આ અનાજ માફિયા દ્વારા તેની ગેરકાયદેસર પ્રવૃતિને સતત ચાલુ રાખી ફરી એકવાર ગરીબો નું અનાજ બારોબાર વેચી મારવાનું કાંડ પકડતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગીર સોમનાથથી મહેશ ડોડિયાનો રીપોર્ટ