મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારીથી વિરપુર જવાના માર્ગ પરના આરસીસી પુલ ઉપર રીલીંગ ન હોવાના
કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.ડેભારીથી વિરપુર માર્ગ બે વર્ષ અગાઉ કરોડો રૂપિયા ખર્ચીને નવીન માર્ગ બનાવવામાં આવ્યો છે.જે ડેભારી ગામની બહાર નીકળતા આરસીસી અંદાજીત ૫૦ મીટરનો નાનો પુલ બનાવવામાં આવ્યો છે.પરંતુ પુલને અડીને કોઇપણ પ્રકારનું ડીવાઈડર મુકવામાં આવ્યું નથી જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.ત્યારે આર.સી.સી.પુલ ઉપર રેલિંગનો અભાવે અવાર નવાર પસાર થતાં વાહન ચાલકોમાં બ્રિજથી નીચે ૩૦ થી ૫૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી જવાનો ભય સેવાઇ રહ્યો છે.
આ રોડ ઉપર આવેલ આરસીસી પુલ નીચેથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે અને પુલ ઉપરથી વાહનોને અવર જવર કરવા માટે આર.સી.સી. બ્રિજ બનાવાયો છે.પણ છેલ્લા કેટલાય સમયથી આ બ્રિજ ઉપર બંને સાઈડ રેલિંગનો અભાવ હોય સાથે જ આ રોડ ઉપર રાત્રી સમયે અંધારું હોય બ્રિજના ઊંડા ખાઈમાં વાહન પડી જઇ અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા અવાર નવાર રજૂઆત તંત્રને કરવામાં આવી છે છતા તંત્ર બેદરકાર બની રહ્યું છે.આ રોડ ઉપરથી સંખ્યા બંધ વાહનો સાથે સ્કુલ બસ એસટી બસો સહિત વાહનો પસાર થાય છે. કોઈ સંજોગો વસાત અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે ? કે પછી તંત્ર કોઇ અનબનાવ બને તેની રાહ જોઇ રહ્યું છે?તેવા સવાલો સ્થાનિકોના મનમાં સેવાઇ રહ્યાં છે.જેથી કોઇ અનબનાવ ન બને અને આ બ્રિજ ઉપર બંને સાઈડ રેલિંગ નાખવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે..
મહિસાગરથી ભીખાભાઈ ખાંટનો રીપોર્ટ